ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

ગગન વિના -‘આદિલ’ મન્સૂરી

મારા જીવનની વાત, ને તારા જીવન વિના,
ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.

ઉન્નત બની શકાય છે ક્યારે પતન વિના?
મસ્તક બુલંદ થઇ નથી શકતું નમન વિના.

વીજળીની સાથે સાથે જરુરી છે મેઘ પણ,
હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

કરતા રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઇ શકે છે સ્વજન વિના?

આંસુઓ માટે કોઇનો પાલવ તો જોઇએ,
તારાઓ લઇને શું કરું ‘આદિલ’ ગગન વિના?

– ‘આદિલ’ મન્સૂરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો