સોમવાર, 23 ફેબ્રુઆરી, 2015

- શૂન્ય પાલનપુરી

પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું
પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

તું નથી પાષાણ ઓ મન કર જરા ઊંડું મનન
તું નથી પાષાણ ઓ મન કર જરા ઊંડું મનન
રામને નામે થવું
રામને નામે થવું ગરકાવ કે તરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

મોત હો તો મોત કિન્તુ જિંદગી તુજ દ્વારથી
મોત હો તો મોત કિન્તુ જિંદગી તુજ દ્વારથી
જાય ખાલી હાથ યાચક એથી તો મરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

‘શૂન્ય’ શિખરની તમન્ના અંત છે પુરુષાર્થનો
‘શૂન્ય’ શિખરની તમન્ના અંત છે પુરુષાર્થનો
એટલે તો ખેલમાં મન મસ્ત થઈ ફરવું ભલું
શાનથી જીવાય ના તો આનથી મરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું

પુણ્ય જો ના થઈ શકે

‘શૂન્ય’ પાલનપુરી
........................................................

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી          
........................................................

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

- શૂન્ય પાલનપૂરી     
...................................................

જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

- ‘શૂન્ય’ પાલનપુરી
............................................................

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
- શૂન્ય પાલનપુરી
............................................................

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.
સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.
ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.
કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.
રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.
........................................................

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે
કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે
સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે
- શૂન્ય પાલનપુરી
...............................................................

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો